જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે આસો સુદ નોમ.નવલી નવરાત્રીનું નવમું અને છેલ્લું નોરતું.અને આપે હમણાં જ એક ગરબો માણ્યો.હવે આજના દિનની બીજી વાતો પણ તો જાણીએ ને.! આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગીને ભોગવવાનું કહેવામાં આવ્યું છે, આપણી પાસે રહેલમાંથી થોડુંક જો બીજા જરૂરિયાતમંદ વ્યક્તિને આપે તો તેની મદદ પણ થાય અને એક સામાજિક ઉન્નતિ પણ થાય.આ અઠવાડિયું કંઈક આવી ઉજવણી માટૅનો જ છે. "GIVE INDIA" નામક સંગઠન આ પ્રયાસનો ફેલાવો કરી ૨૭મી સપ્ટેમ્બરથી ૩જી ઓક્ટોબર ૨૦૦૯ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે "JOY OF GIVING WEEK" "આપીને મેળવો આનંદો" જેવી ચળવળની શરૂઆત કરવામાં આવી છે અને હું તો કહું છું કે આ ચળવળ માત્ર આ દિવસો પુરતા સિમિત ન રહેતા દરેક પોતાના જીવનમાં ઉતારે તો સાચે જ માનવજાતિનું કલ્યાણ થશે. આ પ્રવૃતિની પાછળનો હેતું માત્ર દાન જ નહી પણ આપણામાં રહેલાં માનવતાંના મુલ્યોને જાગ્રત કરવાનો છે.તો આપ સૌ પણ જોડાશોને આ પ્રવૃતિમાં...વળી આ બાબતે વધું માહિતી મેળવવા આપ નીચેની સાઈટ પર પણ જઈ શકો છો.
વળી આજે છે ૨૭મી સપ્ટેમ્બર. આપણા શહીદ વીર ભગતસિંહનો જન્મદિન પણ.તો આપણા તે વીરને હૃદયપુર્વક શ્રદ્ધાંજલી.અને આજે કંઈક નૈતિક મુલ્યોને સમજાવતી શ્રી દિલિપ ગજ્જરની આ રચના આપ સમક્ષ રજું કરું છું જે માત્ર દિપાવલી જ નહી પણ આ ઉજવણી પર પણ યોગ્ય ઠરે છે.આપશ્રી ને આ વિચાર કેવો લાગ્યો તે જરૂરથી જણાવશો...આપના પ્રતિભાવની રાહમાં.....
દીપની જ્યોતે તમસ ભાગી જશે
સૂર્યનું સંતાન પથ ભાળી જશે.
સાચવો જીવન સકળ અજવાળશે
છેડશો ના દીપ સળગાવી જશે.
સત્યનો દીપક ગ્રહી લે રાતભર
પ્રાતઃકાળૅ મંજીલે પહોંચી જશે.
પ્રેમભાવો દિલથી ચાલી જતાં
રાગદ્વેષો ઘર પછી બાળી જશે.
બંધ આંખે શીર પર આજ્ઞા ધરો
ભ્રષ્ટ માર્ગે કોઈ પણ વાળી જશે.
ચૂપ રહી અન્યાયને સહેતા રહો
વૃતિ રાવણિયા બધે વ્યાપી જશે.
રાત કાળી જુલ્મની લંબાઈ ગઈ
કૃષ્ણ નરકાસુરને મારી જશે.
ભાઈ મારા, જો રહે લડતા સતત
તે 'દિને દીપાવલી ચાલી જશે.
માનવી લાચાર ભૂખ્યો ના સુએ,
તે 'દિને દીપાવલી દીપી જશે.
વ્યાસ ઊંચો સાદ દઈ પોકારતાં
કોઈ તો હજ્જારમાં જાગી જશે.
વર્ષ બેઠું તું કદી ના બેસતો
જિન્દગી સંકલ્પ બદલાવી શકે
રાત આખી વાટ સંકોરી
'દિલીપ' પૂર્વસંધ્યા જોઈને પોઢી જશે


No comments:
Post a Comment