જય શ્રીકૃષ્ણ મિત્રો.
આજે છે મહા વદ સાતમ.આજે છે શ્રીનાથજી ભગવાનનો પાટોત્સવ.અને શ્રીનાથજીનું ધામ એટલે નાથદ્વારા.વૈષ્ણવોનું હરિદ્વાર.તો ચાલો નાથદ્વારા અને શ્રીનાથજી વિશે થોડુ મમળાવી લઈએ. રાજસ્થાનમાં ઉદયપુરથી ૪૦ કી.મી. દૂર આવેલું ‘નાથદ્વારા’ આજે આખાય દેશમાં પ્રખ્યાત તિર્થસ્થાન છે. કોઈપણ દિવસ એવો ન હોય ત્યાં ગીરદી ન હોય. ઉત્સવોમાં તો રહેવાની પારાવાર મુશ્કેલી પડે છે.બધા લોકો કહે છે કે ધક્કામુક્કી થાય છે પણ વ્હાલા ભક્તજનો વૈષ્ણવોનો આ ધક્કો શ્રીજીબાવા તમારા ભાગ્યના દ્વાર ખોલી નાખે છે.ત્યાંના સ્થાનીક રહીશોમાં માન્યતા છે કે ‘મંગલા મુખી સર્વદા સુખી’ જે સવારે મંગલાના દર્શન કરે તે સદાય સુખી રહે. શ્રીકૃષ્ણના અનેક સ્વરૂપો છે.
ડાકોરમાં શ્રી રણછોડરાય, દ્વારિકામાં દ્વારિકાનાથના સ્વરૂપે , ઘણા યોગેશ્વર ગીતાના નાયક સ્વરૂપે માને છે. ગોકુળમાં બાલ સ્વરૂપે ભજાય તો ‘પુષ્ટિમાર્ગમાં’ શ્રીનાથજીનું દિવ્ય સ્વરૂપ ઈષ્ટદેવ તરીકે પ્રિય છે.શ્રીનાથજીનું સ્વરૂપ નિહાળતાં જ હૃદય ગદ્ગદિત થાય. બસ મંદિરમાંથી બહાર નીકળવાનું મન ન થાય. ઝાપટિયાની ઝાપટ મીઠી લાગે.શ્રીનાથજી બધાને પ્રિય છે. શ્રીનાથજીના મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ ઉત્થાપન ભોગ અને અંતે મનને આનંદ આનંદ આપે છે.નાથદ્વારામાં આખું વર્ષ ઉત્સવો ઉજવાય છે.નાથદ્વારામાં પીછવાઈ અને પુષ્ટિ કીર્તનનું અનેરું મહત્ત્વ છે.શ્રી ગુંસાઈજીએ રાષ્ટ્રને શૃંગાર, કીર્તન સંગીત રાગ- ભોગનો અનન્ય લાભ આપ્યો છે. આ પ્રણાલીકા આજે પુષ્ટિમાર્ગમાં પ્રચલિત છે.
સાંપ્રદાયિક માન્યતા મુજબ જે દિવસે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાક્ટ્ય થયું તે જ દિવસે શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના સંપૂર્ણ સ્વરૂપનું પ્રાક્ટ્ય શ્રી ગોવર્ધન ગિરી ઉપર વ્રજમાં થયું. વ્રજભાષાના અષ્ટછાપ કવિઓમાંના સૂરદાસજીનું પણ પ્રાક્ટ્ય એજ દિવસે થયું હતું. ગોવર્ધનગિરિ પર્વત ઉપર પૂર્વે સં. ૧૪૬૭ (ઈ.સ. ૧૪૧૦)ના શ્રાવણ વદી ૩ રવિવારે વ્રજવાસીઓને શ્રી ગોવર્ધનરણની વામ ભૂજાના દર્શન થયાં. શરૂઆતમાં ઇંટ ચુનાનું નાનું મંદિર સં. ૧૫૩૮ ઈ.સ. (૧૪૮૧) બનાવ્યું. સંવત ૧૫૩૮માં આચાર્યશ્રીએ શ્રીનાથજીનું મંદિર સંવત ૧૫૫૬ના વૈશાખની અક્ષયતૃતીયાને દિવસે પધરાવ્યું. નાથદ્વારાનું મંદિર અંબાલાના પુર્ણમલ્લ ઠાકુરે બનાવ્યું હતું. કૃષ્ણદાસ પ્રથમ સેવાના અધિકારી બન્યા.
શ્રી મહાપ્રભુજીના મતે શ્રીમદ્ ભાગવતના સ્વરૂપને શ્રીનાથજીના એકાત્મ સ્વરૂપે માનવામાં આવે છે. સ્કંધ ૧-૨-અધિકાર જ્ઞાન શ્રીજીના બે ચરણ સ્કંધ ૩-૪ સર્ગ અને વિસર્ગ શ્રીજીના બે બાહુ સ્કંધ ૫-૬ સ્થાન અને પોષણ શ્રીજીની બે સાથળ. સ્કંધ ૭ ઉતિ શ્રીજીનો એક હસ્ત. સ્કંધ ૮-૯ મન્વંતર અને ઈશાનુકથા શ્રીનાં બે સ્તન. સ્કંધ ૧૦ - નિરોધ શ્રીજીનો મઘ્ય ભાગ. સ્કંધ ૧૧ મુક્તિ શ્રીજીનું મસ્તક. સ્કંધ ૧૨ આશ્રય શ્રીજીનો બીજો હસ્ત.
શ્રીનાથજી પ્રથમ ગોવર્ધન પર્વત પત્ર બિરાજ્યા એ પછી મેવાડમાં પધાર્યા ત્યાં સુધીમાં જે જે સ્થળે થોડા યા ઝાઝા દિવસો રોકાયા તે શ્રીનાથજીની ચરણચોકી તરીકે ઓળખાય છે.
(૧) નિજમંદિરનું સ્થાન - શ્રી ગિરિગોવર્ધન ઉપર
(૨) મથુરામાં સતાધરા
(૩) આગ્રા મકાન નં. ૩૪૦૨
(૪) ચંબલ નદી ઉપર - દંડોતધાર
(૫) આગ્રાથી ઝાંસીની લાઈનમાં મૂરે સ્ટેશનથી ચારેક કી.મી. દૂર
(૬) કોટા
(૭) કિશનગઢ - પીતાંબરજી કી ચાલ
(૮) મારવાડ પાસે ચાંપાસેની - કદમ ખંડી (૧૭૨૮ ઈ.સ.)
(૯) ઉદેપુરમાં - રાયસિંહના સમયમાં નવ માસ બિરાજયા
(૧૦) સિંહાડ
(૧૧) ઉદેપુરથી ૧૬ કી.મી. ધસ્યાઢ
(૧૨) શ્રીનાથદ્વારાનું સ્થળ.
શ્રી ગિરિરાજજી ઉપર બંધાયેલા નવા મંદિરમાં અને શ્રીનાથદ્વારાના મંદિરમાં માધ-કૃષ્ણ સપ્તમીએ શ્રીનાથજીને પધરાવ્યા હોવાથી તે દિવસે પાટોત્સવ મનાવાય છે. શૃંગાર રસાત્મક આપનો શ્યામવર્ણ ચિત્તને આકર્ષે છે. આપની સ્વરૂપ પીઠીકા ચોરસ છે તેના ચાર ખૂણાઓ ચાર સ્વામીનીઓજીના ભાવાત્મક સ્વરૂપ છે.
શ્રીનાથજીનું શરીર કોઈ શિલ્પકાર દ્વારા બનાવવામાં નથી આવ્યું તે પોતે સ્વયં પ્રકાશિત છે.તેમનું સ્વરૂપ ગોવર્ધનને ધારણ કર્લ તે સમયનું છે.તેમના ડાબા હાથ વડે ભક્તોને પોતાના શરણમાં લીધા છે.જમણા હાથની મુઠ્ઠી આપણને પ્રતિતિ કરાવે છે કે આપણા બધાનું મન ભગવાનની મુઠ્ઠીમાં હોઈ આપણે તેમનામાં ઓતપ્રોત થઈ ગયા છીએ. ધર્મમાં આસ્થા નહી રાખનારાને અંગુઠો દેખાડી કહે છે કે હું તમારા માટે નથી જે શરણે આવશે તે જ નિકુંજમાં પ્રવેશી શકશે.જમણી બાજુ કમર પર રાખેલા હાથ પ્રતીતિ કરાવે છે કે વાસનામાંથી જીવોને છોડાવનાર પણ હું જ છું.તેમના ગળામાં શોભતી માળા તે યોગમાયાનું સ્વરૂપ છે.તો આવા શ્રીનાથજીને વંદન કરતા કરતા આજે આ પુષ્ટિમાર્ગી વૈષ્ણવોનું જ નહી સૌને ગમે તેવું આ ભજન અહી રજુ કરું છું.અને .
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.
હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં.
No comments:
Post a Comment