December 5, 2008

લયસ્તરોની ચોથી વર્ષગાંઠ...સપ્તપદી.....ડો.વિવેક મનહર ટેલર

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૫મી ડિસેમ્બર.આજે ગુજરાતી બ્લોગજગતના વડલા સમાન એવા શ્રી ડૉ.ધવલભાઈ અને ડો.વિવેક મનહર ટેલર દ્વારા સંચાલિત લયસ્તરોની ચોથી વર્ષગાંઠ છે.તો માટે બંને કવિમિત્રોને અને લયસ્તરોને અમારા વતી જન્મદિનની ખૂબ ખુબ શુભકામનાઓ.અને નિમિત્તે તેઓ ગુજરાતી ગઝલના ઈતિહાસની ૨૦ યાદગાર ગઝલો રજુ કરવાના છે તો આવનારા દિવસો ખુબ યાદગાર અને રોમાંચક બની જશે તો આનો લહાવો લેવાનું ચુકતા નહી...અને નિમિત્તે તથા લગ્નગાળો ચાલતો હોવાથી મનના વિશ્વાસ અને સુલભગુર્જરી પર પ્રથમ વખત શ્રી ડો.વિવેક મનહર ટેલરની સપ્તપદીની રચના રજુ કરવા પ્રયાસ કરેલ છે અને હાં સપ્તપદીના સાત વચનો પણ બહુ જલ્દી રજુ કરીશ.ત્યાં સુધી માણૉ રચના...



saptapadi

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

જિસ્મ બે પણ જાન એકએ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
હુંને તુંપડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.

થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.

સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.

થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.

હું વધુંકે તું વધેની રાહ જોવામાં, સખી !
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ

.............................................................................

ડો.વિવેક મનહર ટેલર

No comments: