જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે શનિવાર.અંજનિપુત્ર હનુમાનજીનો દિવસ.આમ તો થોડા દિવસો પહેલાં જ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ હતી પણ તે દિવસે કેટલાક કારણસર કોઈ કૃતિ રજું ન થઈ શકી.પણ રમેશભાઈએ આ વાતને યાદ કરી ઝવેરચંદ મેઘાણીએ રચેલા શિવાજીના હાલરડાં પરથી હનુમાનજીનું હાલરડું બનાવી મોકલી આપ્યું. આનાથી વિશેષ તેમને શું શ્રદ્ધાંજલી હોય અને વળી આજ શનિવારે હનુમાનજીના દિને જ ચાલો માણીએ હનુમાનજીનું હાલરડું ઝવેરચંદ મેઘાણીને હૃદયપુર્વક શ્રદ્ધાંજલી આપતા આપતાં...
પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર
જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો
કેસરી નંદનને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું
ભાગ્યવંત મા ભારતની ભૂમિ,પવનદેવે દીધું લાખેણું નઝરાણું
માત થાશે ,તારો લાલ બડભાગી, દેવાધી દેવની દેવ પ્રસાદી
ધર્મપથી, શક્તિ ભક્તિની મૂર્તિ, પરમેશ્વરની બાંધશે પ્રીતિ
શ્રેય કરી જગ ભય હરશે, ધર્મ પથે ધર્મ યુધ્ધ ખેલશે
જગ કલ્યાણે જગદીશ રીઝવશે,રામ ભક્તિથી ભવ સાગર તરશે
ભવ કલ્યાણી અંજની નીરખે, હરખે ઉર આનંદે મલકે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
પોઢંતો પ્રતાપી, વજ્રની શક્તિ,મુખની લાલી ને આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે, ચારે યુગનો થાશે કલ્યાણી
ભક્ત ભગવાનનાં મિલન થાશે,ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર કેસરી ગર્જના કરશે , દશે દિશાઓ હાંકથી કંપશે
દેવી કલ્યાણી અંજની નીરખે, અમીરસ અંતરે ભાવે ઉછળે
કેસરી નંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
લાલ તારો લાંધશે જલધિ, પવનવેગી ગગન ગામી ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી
પનોતી પાસ ન ઢૂંકવા દેશે, રામ ભક્તિથી અમર થાશે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે


No comments:
Post a Comment