September 15, 2008

માડી આવ - બંસીધર પટેલ

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ભાદરવી પૂનમ. એટલે અંબેમાના સ્થાન અંબાજીમા તો ભક્તોનો મેળો જામેલો છે. અઢળક શ્રદ્ધાળુ ભક્તો આ ભાદરવા માસમાં પગપાળા ચાલીને અંબેમાના દર્શન કરવા જાય છે. તો ચાલો આજે આપણે પણ મા અંબેની આરાધના સહ બંસીધર પટેલની આ રચના માણીએ



માડી આવ - બંસીધર પટેલ
(
રાગ - ચોરી ચોરી દિલ તેરા... ફૂલ ઔર અંગાર)


ઝીણી ઝીણી ઝાંઝરના રણકારે, માડી તુ વહેલી પધારજે.
લળી લળી લાગુ હું પાય તું, અંબા વાત મારી તું સાંભળજે.

સોળે સજી શણગાર માડી, આંગણ તું મારુ શોભાવજે.
કોમળ હાથ તારા પસારીને મુજને આશીર્વાદ તું આપજે.

તું બેઠેલી દૂર, ધડકે મારૂ ઉર, મન તડપે તારા દર્શન કાજે.
વિનતી સૂણીને આજ, માડી રાખજે લાજ ભક્ત કાજે.

નથી આરો હવે અન્ય કોઇ, તારા દર્શનની રહી એક આશ.
ના વિદારીશ મુજને, કાપી બંધન ભવના દેજે જીવનમાં આશ.

કાળો કાળ કળિયુગ તણો, નામ તારૂં ઝાલ્યું છે સાચી આશ.
હવે મારે તો તું, ઉગારે તો તું, તારા પર છોડ્યું જીવનનું નાવ.

ભરી બેઠો છું થાળ, જોઉં હું તારી વાટ, અંબા આનંદે પધારજે.
હોય કંઇ ભૂલ મારી કરી માફ તું માડી મુખડું મલકતું રાખજે.

વીતે છે જીવન પાણી રેલાની જેમ, સાચી શાંતિ તારા થકી પસારજે.
વિનવું હું મા તુજને અતિશે, ના બનીશ કઠોર લગારે તું આવજે.

દુનિયાના રંગ ભાસે નિરાળા, માયા તણી લાગી વણઝાર.
વણ થંભી ઘટનાઓનો ચિતાર, તું જાણે સર્વ કાંઇ.

આવી એ આવી મા, રૂમઝૂમ કરતી સજી સોળે શણગાર.
બન્યું ધન્ય જીવન મારૂં, સચરાચરમાં રહેનારી જગદ્ધાર.

અંબાનો આ બંધ સાચો, બાકી બધો બકવાસ ભાઇ.
સ્મરે જો ખરા મનથી, મા ભોળી ભાગી આવે તત્ક્ષણ માઇ.

…………………………………………………..


આભાર સ્વરાંજલી

No comments: