જય ગણેશ મિત્રો
અરે એક વાત તો રહી જ ગઈ કે આજે છે શ્રી નરસિંહરાવ દિવેટિયા નો જન્મદિન જે ૦૩-૦૯-૧૮૫૯ના રોજ અમદાવાદમાં થયો હતો.એમના ઉર્મિકાવ્યો ગુજરાતી ભાષામાં એક નવું પ્રસ્થાન કરનારા હતાં. કુસુમમાળા, હૃદયવીણા, નુપૂર, ઝંકાર, સ્મરણસંહિતા, બુદ્ધચરિત વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. ગુજરાતી ભાષાશાસ્ત્રનો પાયો તેમણે નાખ્યો છે. તેમનો ભાષાવિષયક રસ તેમના અભ્યાસના સુફળરૂપે ગુજરાતી લેન્ગ્વેજ એન્ડ લિટરેચર નામે બે ભાગના ગ્રંથોમાં સમાવિષ્ટ છે. “પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપથ ઉજાળ” વાળું યાદગાર ભાષાંતર તેમણે કરેલ અને આખરે ભીષ્મ પિતામહની જેમ ઈ.સ. ૧૯૩૭માં ઉત્તરાયણના દિવસે તેમણૅ આ ફાની દુનિયા છોડી. તેમની મંગલ મંદિર ખોલો દયામય... એ કારુણ્ય રચના યાદ આવી ગઈ કારણકે ગયા બુધવારે મારા નાના નું અવસાન થયું અને આ સોમવારે એટલે કે ૮મી સપ્ટેમ્બરે તેમનું બારમું છે તથા મારા દાદાની ૧૧મી પુણ્યતિથિ પણ છે તો પ્રસ્તુત છે તેમની આ રચના.
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો,
જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો,લો,
દયામય ! મંગલ મંદિર ખોલો
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુસહ પ્રેમે બોલો ;
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ–અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
………………………………………………
આભાર પ્રાર્થનામંદિર


No comments:
Post a Comment