May 17, 2008

યાદ......રમેશ પારેખ

ગુજરાતી કવિતા પ્રેમીઓના હૃદયગઢના રાજવી, કવિરાજ રમેશ પારેખનો જન્મ ઈ.સ ૧૯૪૦માં અમરેલી મુકામે થયો હતો. એમણે ગીત, ગઝલ અને અછાંદસ રચનાઓ લખી છે. તેમણે કવિતાની નવી બારાખડીનું સર્જન કર્યું. તેમણે કવિતા દ્વારા તળપદા વાતાવરણ અને શિષ્ટ સાહિત્યનો સમન્વય કર્યો હતો.એમના બધા જ કાવ્યસંગ્રહો છ અક્ષરનું નામમાં એક સાથે મળે છે. એમની ગઝલમાં ઝંખના, વેદના, એકલતાના ભાવો વ્યક્ત થાય છે. વળી તેમણે રજૂ કરેલા બાળગીતો તો મારા બાળપણથી મને ખૂબ જ પ્રિય છે જેમકે એકડો સાવ સળેકડો, હું અને ચન્દુ...




સોનલને ઉદ્દેશીને લખેલા તેમના ગીતો સ્ત્રીના હૈયાના પ્રેમ, વિરહ, અજંપો વગેરે ભાવોને વ્યક્ત કરે છે.અને આ સોનલ કોણ હતી, છે કે હશે ? તે તો મને પણ નહોતી ખબર પણ જ્યારે ટહુકાની મુલાકાત લીધી ત્યારે મને સોનલ વિશે જાણવા મળ્યુ જે હું અહીં રજૂ કરુ છું



સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં રમેશ પારેખ.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!!


રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલભાઈએ શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલભાઈ!
સોનલ 1
સોનલ 2




તો આ માટે ટહુકો વાળા જયશ્રીબેનનો અને ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર.











આજથી બે વર્ષ પહેલા આજના દિવસે એટલેકે ૧૭-૦૫-૨૦૦૬ના રોજ અચાનક તેમણૅ આ દુનિયામાંથિ વિદાય લીધી ત્યારે જાણે કે કાંઈક ખોવાઈ ગયું. પૂજ્ય મોરારીબાપુએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે પરમતત્વની ખોજમાં સતત ખોવાઈ ગયેલો આ માણસ પરમ તત્વને પામી ગયો હશે એટલે જ આપણેને છોડીને જતો રહ્યો. તો આજે તેમની યાદમાં તેમની યાદ પરની જ એક રચના અહીં રજૂ કરુ છું, આશા છે આપ સર્વેને ગમશે.






મારા જ ઘરમાં આવે મને મારા ઘરની યાદ
આવે ને આમ કોઇને કારણ વગરની યાદ

બાઝી ગયાં છે નકશાનાં જાળાંઓ આંખમાં
સચવાઇ રહી છે આમ તમારા નગરની યાદ

ચીલા મૂકી ગયાં તમે મારા વિચારમાં
તમને નથી હવે એ તમારી સફરની યાદ

ખરતી રહે છે આંગળી અક્ષર ક્ષણે ક્ષણે
આવે છે ટેરવાંને કઇ પાનખરની યાદ

શબ્દોમાં તરતી સાંજનું ખાલીપણું જુઓ:
આવે છે કોઇ દીવા વગરના ઝુમ્મરની યાદ ?


No comments: