April 23, 2008

“વિશ્વ પુસ્તક દિન”...તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

વૈશ્વિક રંગભૂમિ પર અમીટ છાપ ઉપસાવનાર પ્રસિદ્ધ નાટ્યકાર વિલિયમ શેક્સપિયરનો જન્મ ૨૩-૦૪-૧૫૬૪ના રોજ ઈંગ્લેન્ડના સ્ટ્ટેરફોર્ડ ગામમાં થયો હતો અને તેમનુ મૃત્યુ ૨૩-૦૪-૧૬૧૬માં થયું હતું. એટલે આનાથી વધારે યોગ્ય દિવસ ક્યો હોઈ શકે ? એમ વિચારીને યુનેસ્કોએ આજના દિવસને એટલેકે ૨૩મી એપ્રિલને વિશ્વ પુસ્તક દિન તરીકે ઊજવણી કરવાનુ નક્કી કર્યુ છે.. શેક્સપિયરે નાટકોના કથાનકો કે વિષયો જડ્યા ત્યાંથી ઉપાડ્યા છે. તેમણે મેકબેથ્ , જુલિયસ સિઝર, ઓથેલો, હેમ્લેટ, રોમિયો અને જુલિયેટ, સહિત ૩૬ જેટલા નાટકો લખ્યાં છે. ક્યાંક નાનકડી ભૂમિકા પણ ભજવી. તેઓ અંગ્રેજી ભાષાનાં જાણે કે સમ્રાટ જ બન્યા. તેમણે ૧૬૦૦થી વધુ શબ્દો અંગ્રેજી ભાષાને આપ્યા છે. આજે ૫૦૦ વર્ષ પછી પણ એમના નાટકો વિશ્વભરની જુદી જુદી ભાષાઓમાં રસિકોને મોહિની પૂરી પાડે છે. તો મિત્રો આજે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે આપણે પણ આપણા પુસ્તકપ્રેમને ઉજાગર કરીએ અને કેટલાક સારા પુસ્તકો ઓનલાઈન પણ ગુજરાતીમાં જ ઉપલબ્ધ પણ છે. તો તે માટે આપણા પુસ્તકાલય ની મુલાકાત લેવાનુ ચૂકતા નહીં, અને સાથે સાથે મિત્રો આપના પ્રતિભાવમાં આપના ગમતાં પુસ્તકોનાં નામનો ઉલ્લેખ કરવાનુ ભૂલતા નહી હોં કે..તો આજે જિંદગીને પુસ્તક સાથે જ સરખાવતી મુકેશ જોષીની આ કવિતા અહીં રજૂ કરુ છું.
























સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ



પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
કેમ બચાવો દર્પણ



તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ


હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ….

તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ..


આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ….



તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ.

No comments: